વર્ષ 2023નો અનોખો અંદાજ્ મારી નજરે.....

 

આમતો દરેક નું વર્ષ 2023 પોતાની અલગ વિચારધારા અને પોતાના અલગ ઉદ્દેશ્ય સાથે પૂરું થયું હશે એવું હું હાલ પૂરતું માની લઉં છું... ઘણાના મનમાં ધારેલા ઉદ્દેષ્ય પૂરા થયા પણ હશે અને ઘણાના લક્ષ્યો પૂરા નહીં પણ થયા હોય, આજે હું મારી વાત કરવા આયો છું જ્યાં મારે કહેવું છે કે મારુ આ વર્ષ કેવું ગયું છે...!!

જિંદગીના આ તબક્કે પહેલી વાર એવું ખબર પડી કે જીવનમાં અમુક તકલીફો આવશે તો કોઈ ઊભા નહીં કરે, આ બહુ કડવી વાત છે પણ મારા માટે તો હકીકત છે.. મારા જીવનમાં જેટલી તકલીફો આવી પણ મારા ભાઈબંધો મારી જોડે હતા, પણ આ વર્ષે 3-4 મહિના એવા ગયા મારા જ્યારે હું કોઈને કશું કહેવા જેવો લાયક જ નહોતો. કહી શકાય કે માણસ ડિપ્રેશન અથવા તો હતાશામાં જ જતો રહ્યો તો.. અને આ હતાશામાં જવાનું કારણ પણ એવું કે જે વસ્તુ મને નથી ગમતી અથવા તો જે વસ્તુ મને વારેવારે નિરાશ કરે છે એ વાત હું મારી જિંદગીમાં દર બીજા દિવસે જોઈ રહ્યો હતો. આ તબક્કો ચાલુ થયો એના પહેલા મે ઘણા લોકોને કહ્યું હતું મહત્તમ 2 લોકો જે નજીકના હતા આ સમયમાં પણ કશું થયું નહી અને કમનસીબે હું આ તબક્કામાં જતો રહ્યો. આ તબક્કો એટલો ખરાબ આયો કે હું કોઇની સાથે વાત કરવા તૈયાર નહોતો, કશું જ વાંચવા તૈયાર નહોતો, કશું પણ લખવા તૈયાર નહોતો આ તો ઓછું નથી સાહેબ આની સાથે શારીરિક માંદગી પણ ખૂબ આવી હાથ પગના લિગામેંટ્સ (સાંધા) તૂટી ગયા પણ આવું ખાલી ખૂબ અંગત લોકોને ખબર હતી. આ સાથે જ તકલીફોમાં કોઈ પણ કારણ વગર હું શાંત થઈ ગયો... આ 4 મહિના તો બાપ રે કેમના ગયા હું, મારુ મન અને મારો ડોક્ટર કૌશલ અમને ત્રણને જ ખબર છે. ઘટનાઓ બહુ ખરાબ બની આ તબક્કે પણ જળવાઈ ગયો હું.. અને આ આખા તબક્કામાં હું શાંત થતા શીખી ગયો.. કોઈ પણ પ્રકારના બાહરી દેખાવા કોઈને કહેવું કે મને આવું કઈ છે એના કરતા હું જ્યાં હતો ત્યાં જ રોકાઈ ગયો અને શાંત થઈ ગયો.. યે જવાની હે દિવાની નામની ફિલ્મમાં એક સંવાદ છે કે, कही पे पहोंचने के लिए कही से निकलना बहोत जरूरी होता है।.. આ સંવાદ ને મે થોડુક અપડેટ કરી દીધું કે ક્યાક પહોંચવા માટે પહેલા ક્યાક રોકાઈ જવું ત્યાથી પછી યુ-ટર્ન મારી લેવો ને એ પણ કૃષ્ણએ શીખવાડયું છે પણ ભૂલી ગયા.! એટ્લે આ તબક્કે જે માણસ 4-5 કલાક ઊંઘતો હતો એની જગ્યાએ 14-14 કલાક ઊંઘતો થયો.. અને એકદમ શાંત થઈ ગયો.!

જીવનમાં સારા તબક્કા કરતાં પહેલા ખરાબ તબક્કાની વાત કરીએ તો જીવન કદાચ વધારે સારી રીતે જાય એવી જ રીતે જ્યારે સામેવાળા વ્યક્તિ જેની સાથે તમે વાત કરો છો એની સારી વાતો કરતાં તમને એની ખરાબ બાબતો ખબર હોય નેતો!

આ સાથે જ બીજા ખરાબ એવી ઘણી ઘટનાઓ બની જેમાં હું ખૂબ તૂટી ગયો હજુ પણ જો કોઈ ખભો આપે તો એ બાબત પર આજે પણ રોઈ શકું છું એટલો ભરાયેલો છું જ! પણ કીધું ને શાંત થઈ ગયો છું. આ જેટલી ખરાબ ઘટનાઓ બની એમાં ક્યાક ને ક્યાક મારુ સ્વાભિમાન તૂટ્યું અથવા તો કહી શકો કે મારી જે સ્વ-ઇજ્જત હોય એ લોકોએ તોડવાની ખૂબ પ્રયત્ન કર્યો, જાણતા કે અજાણતા પણ થયું ખરું અને જેણે આવુ કર્યું એને મે કીધું પણ ખરા કે તમારા આવા વર્તનથી ઠેસ વાગી છે એ મારા માટે મહત્વનુ પગલું હતું.

2023ની સારી બાબતોની વાત કરું ને તો આ વર્ષે મને ખૂબ શીખવાડયું છે અપાર શીખવાડયું છે, ભલે 4 મહિના કાઢી નાખું ને તો પણ મને ખુબ શીખવાડયું છે.

આ વર્ષે મારા જીવનની સૌથી મોટામાં મોટી શીખ હતી, સૌ કોઈ લોકોને તમારી સલાહની જરૂર હોતી નથી. એ લોકો તમને કહે છે કે તમે એને શાંતિથી સાંભળી લો બસ! પછી તો એ એમની રીતે આગળ લડી જ લેવાના છે એમને એક અભિપ્રાયની જરૂર છે કે, “હા, મે મારી વાત કોઈકને કીધેલી છે!”

બીજી મહત્વની બાબત કે, હું શાંત થતો થઈ ગયો.. જો કોઇ બાબત પર ગુસ્સો આવતો હોય તો એ બાબત પર એ સમયે ગુસ્સો આવે પણ તરત જો બીજી વાત આવે તો જૂનો ગુસ્સો ચાલુ નહીં રહે..

ત્રીજું ખૂબ મહત્વનુ શીખ્યો કે મન બહુ નાલાયક છે, એને જો તમારી કાર્યસિદ્ધિ થી નિયંત્રિત ના કરી શકાતુ હોય તો સૂઈ જવાનું! આનાથી જીવનનું કોઈ સુખ મોટું નથી.

હું મારી જાત પર ધ્યાન આપતા વધારે થયો. હવે હું ધ્યાન રાખું છું કે મારુ સ્વાભિમાન કોઈ છીનવી જશે તો એ હું ચલાઇ નહીં લઉં. મારુ સ્વાભિમાન મારા હાથમાં છે!

જીવનના નવા અધ્યાયમાં કોઈકની કેટલી મદદ કરવી અને કઈ હદ સુધીની કરવી એ મારા માટે ખૂબ અઘરુ પણ મહત્વનુ હતું, એ પણ આ વર્ષે મને શીખવાડી દીધું.

ગુસ્સો આવી જતો હોય તો એ જગ્યા છોડી અને થોડોક સમય ઊભા રહી જઈએ તો વધારે શાંતિ મળે આવું પણ જાણવા મળ્યું, અને ખબર હોય કે આ જ વ્યક્તિઓએ તમને ગુસ્સો અપાવ્યો છે તો એમનાથી થોડોક સમય દૂર રહીએ તો વધારે શાંતિ મળે, અથવા તો એમની સાથે થોડોક સમય નહીં વાત કરવાથી પરમ શાંતીનો અનુભવ થાય.

એક નવી વાત જે મે કોઈ દિવસ નહોતી વિચારી અને બીજાએ તો નહીં જ વિચારી હોય મારા માટે કે કોઈને પણ કોઈ પણ પ્રકારનું સૂચન કરવું નહી, તમને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો બસ ત્યાથી ઊભા થઈ જવાનું બસ પણ સૂચન નહીં કરવાનું. (આ જે લોકો મારા સાથે બહાર આવતા હોય ને એમને જ ખબર પડે એવું છે!)

બાકી તો આ વર્ષે ખૂબ જલ્સા કર્યા બાકીના મહિનાઓમાં, એક ભૂલ છે કે મારો અને મારા જોડે જોડાયેલા નો ઘણો ખરો સમય વેડ્ફાઈ ગયો જેમાં જો અમે જાગ્રત હોત તો કઈક અલગ જ થાત આ વસ્તુ. અને જે અલગ વાતમાં સમય વેડફાયો ને એ વાતમાં પણ કઈ દમ નહતો. તો પણ ખબર નથી કે કેમ વેડફાઇ ગયો!

આ વર્ષે ખૂબ બધી જગ્યાઓ નવી ફર્યો એકલો ફર્યો (ભલે એસ.ટી પ્રમાણે ફર્યો) પણ એક ઉદ્દેશ્ય સાથે કે કોલેજ સમયમાં પાછું આવી જવાનું પહેલા પણ જતો તો જૂના મિત્રોને ખબર છે એવી પણ એ વખતે અમે આખું ગ્રુપ જતા તા આ વખત એકલો જ ગયો હતો. એસ.ટીમાં ફરવાનું એટ્લે કે આપણે અગાઉ પ્લાનિંગ કરી શકીએ અને આ પ્લાનિંગ પરથી આગળનો પ્લાન કરીએ.. એકાદ જગ્યાએ એસ.ટીનું સમયપત્રક ખોટું પણ પડ્યું પણ ચાલે!

જો શરૂઆત કરું ને આ વર્ષે ક્યાં ક્યાં ફર્યો તો શરૂઆત મારા નજીકના મિત્રના કહેવા પ્રમાણે મે જોયું નહોતું એવું સ્થાન મગરવાડાથી કરી.. પાલનપુર પહેલા અને વડગામથી નજીક આ સારું સ્થાન છે, મજા આવી અને ત્યાંના વહીવટી અધિકારીઓ જે છે એમની સાથે નવી ભાઈબંધી થઈ.

આ સાથે જ જીવનમાં પ્રથમ વખત શામળાજી જોયું (કોલેજના સમયમાં, જે ખૂબ મોટી વાત હતી મારા માટે), પાલનપુરમાં આવેલું જગાણા તીર્થ છે એ જોયું, સાળંગપુર કષ્ટભંજન દાદાનું મંદિર આ સાથે સંત સરોવર જોયું છે આ બધુ જ નવું હતું મારા માટે.! ત્યારબાદ જોયેલામાં તો ઘણી બધી જગ્યા જોઈ જેમ કે ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર છે ત્યાં, મહેસાણા, મોઢેરા, અંબાજી, પાટણ (એ પણ ડેમું ટ્રેનમાં, તદ્દન નવો અનુભવ) આગલોડ (હમણાં નજીકના સમયમાં જ જોયું), ગણેશપુરાનું ગણપતિ મંદિર ખૂબ મજા આવી! આ બધી એ જગ્યાઓ છે જ્યાં હું એકલો ફર્યો છું મિત્રોને ખબર છે અમુક જગ્યાએ જોડે પણ હશે, પણ ઘરના કોઈ સાથે નહીં.. અને ખૂબ મજા આવી છે મને ફરવાની! તમને લાગી શકે કે બધે મંદિરો જ છે પણ જીવનની આ ઉમરમાં ભગવાન જોડે હોય તો જ્યારે આપણી સાથે આપણા સહ-ભાગીદારની જવાબદારી આવે તો એની સાથે બીજું ફરવાની પણ ખૂબ મજા આવશે.. પણ હાલ તો આજ છે જે છે એ!

જીવનમાં કોઈકના કામમાં આવવું ને એ મારી પ્રકૃતિ છે હવે આ પ્રકૃતિ છે કે કૃષ્ણએ કીધું હતું એ સ્વધર્મ એ મને ખ્યાલ છે, અને આ જ સ્વધર્મ/પ્રકૃતિ પ્રમાણે હું જીવ્યો છું, ઘણીવાર ઈચ્છા થાય છે આવું કરવાની પણ ઘણીવાર ખૂબ ખરાબ રીતે પછડાયો પણ છું, ભગવાનને આશા રાખું છુ કે, તમારી જીવનમાં જેવી રીતે ઈચ્છા હોય એવી રીતે જીવાડજો, લોકોનું ભલું થાય, સારું થાય કોઈ વાંધો નથી પણ લોકો ફાયદો ના ઉઠાઇ જવા જોઈએ કેમ કે ગરુડ પુરાણ પ્રમાણે જોઈએ તો ભગવાને એવું કહ્યું છે કે, “હા, અમે બધા લેખ લખીએ છીએ પણ એમાં તમારું એક ડેસ્ટિનેશન એટ્લે કે પહોંચવાનું સ્થાન નક્કી હોય છે, પણ તમે કઈ રીતે પહોંચો છો ને એના પાના ખાલી છોડેલા છે એ તમારે તમારા કર્મથી ભરવાના છે”!

જીવનના આ વર્ષે ખૂબ મજા કરી છે.. સારો, ખરાબ બધા જ તબક્કા જોયા છે ખરાબ તો ઘણી હદનો.. આ સાથે જ ખૂબ ફર્યો છું અને ખૂબ આનંદ કર્યો છે.. ભવિષ્યમાં પણ આવી જ મજા કરીએ હસતાં-રમતા રહીએ અને લોકોને મનોબળ પૂરું પાડીએ એ આનંદ રહે એવી આશા, આ સાથે જ મને ઘણા બધા લોકોએ પાળ્યો છે એવું કહું તો ખોટું નથી આ લોકોમાં મારા મિત્રો છે મારો એકનો એક કૌશલ છે એટ્લે આભારી છું આ બધાનો, દરેક વખતે જરૂરી ના પણ હોય કે હું જ બધાની મદદ કરતો હોવ, મારા ખરાબ સમયમાં આ બધાએ મારી ખૂબ મદદ કરી છે!

આ સાથે જ, મારી 2023ની યાત્રા અહિયાં પૂરી કરું છું.. જો કોઇનું મન-દિલ કોઈ પણ હિસાબે દૂભાયુ હોય તો બે હાથ જોડી નતમસ્તકે પ્રણામ કરીને હૃદયના અંતરમને માફી માગું છું!

આપનું આવનારું વર્ષ ખૂબ સારું રહે, સ્વાસ્થ્યથી ભરપૂર રહે અને તન-મનથી આનંદ કરી શકો એ જ આપના ઇષ્ટદેવને પ્રાર્થના!! (થોડુંક મારા માટે પણ ભગવાનને કહેજો કે, થોડુક સારું રાખજો મારુ)   

 

-          દીપ જાની

Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....