"સંગાથ"

 

આજે મારે જે વાત કરવી છે એ વિષય કઈ અલગ તો નથી પણ સાવ છોડી દેવા જેવો પણ નથી, આ વિષય પર બધા બઘું જાણે છે પણ આતો શું સાહેબ બધાને કહેતા શરમ ના આવે?! બધાને ઓલી સાહિબી દેખાડવાના ચક્કરમાં કેવાનું રહી જાય છે..

મારે વાત કરવી છે “સંગાથ” વિશે.

સંગાથ કેવો, કોનો, કઈ રીતે કરવો, સંગાથ નિભાવવો કે પછી સંગાથ નિભાવાય જ નહિ?  આ બધાજ પ્રશ્નો નો જવાબ જે હું સાંભળું છું, વાંચુ છું, જે જોયું છે એમાંથી મારે આપવા છે. આ ખાલી મારા મંતવ્યો છે, નિર્ણય નથી!

 

હવે, માણસોને એક સંબંધ પ્રત્યે તમે જોયું હોય અને અવલોકન કર્યું હોય ને તો કઈક વધારે જ લગાવ હોય જ્યારે બાકીના સંબંધ કેવા હોય કે માત્ર રાખવા માટે રાખ્યા હોય અથવા તો એવું પણ બને કે એ સંબંધો માટે માત્ર કામ થી કામ, બહુ કઈ એમાં લોકો રસ ના દાખવે(આવું મે પરિવારોમાં પણ જોયું છે) વગેરે.. હવે આજે સૌથી પ્રિય સંગાથ છે એ માણસના મિત્ર તરીકે નો સંગાથ હોય, ભાઈ-બહેન નો હોય, અરે ગુરુ શિક્ષકનો પણ હોય. પણ મારા અવલોકન પર મે એવું જાણ્યું છે કે આ સંગાથો એ મિત્રના જ નીકળ્યા છે.

 

એક એવો સંબંધ જે લોહીનો સંગાથ નથી, પણ તમે તમારી જાતે તમારો પડછાયો શોધ્યો એ તમારો મિત્ર!! હવે, આ સંગાથ માં જો કઈ કહી શકાય તો એવું કે જે હંમેશા તમારા ઘર પરિવારમાં, તમારી પ્રગતિ, તમારા ભણતર, તમારા ઘડતર, અને સૌથી અગત્યનું તમારી જીંદગીમાં એક અડધો ભાગ બનીને આવે છે. તમે જોયું જ હશે કે જો ભૂલથી પણ એકાદ ભાઇબંધનું ગરમ હોય ને(મગજ હો) તો બાકીના બધા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે કેમ ગુસ્સો શાંત કરતા નથી આવડતું એવું છે,  ના ગુસ્સો શાંત થાય એ અલગ છે, પણ એકલામાં જ્યારે માણસ વિચારી લે ને ત્યારે એને એના વિચારોમાં વધારે સ્પષ્ટતા જોવા મળે અને પછી તો આ વિચારો ભાઈબંધને તો કેવાના જ છે ને, મૂળતો પડછાયોને! એક વણકહ્યા સંબંધનો એક જીવાતો સંવાદ છે એનું નામ સંગાથ!

 

લોકોએ સંગાથ ને માત્ર છોકરા છોકરીના સંગાથે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અરે મારા સાહેબ એની આગળ શું સંગાથ છે જ નહિ? સંગાથ એટલે એક એવો સંબંધ કે જ્યાં ખબર છે કે આ વ્યક્તિ, પાત્ર એ મારા છેલ્લા શ્વાસ સુધી મારા સુખ દુઃખમાં પડખે છે ને રહેશે. જ્યારે પણ એક સંગાથમાં ઝગડા થાય ને તો પણ આ ઝગડામાં બે સંગાથી માથી એકનું હિત (ભલું) હોય જ! જ્યારે કોઈ વ્યક્તિએ સામેના માણસમાં કઈક એવું જોયું હશે ને કે હા આ વ્યક્તિ મારા માટે કઈક કરે છે અથવા કરી શકે મારૂ જીવન સુધરે છે તો એ સંગાથમાં હશે નહિતર એજ ના રહેને!

 

સૌથી પહેલા તો સંબંધ છે ને એમાં સ ઉપર પણ અનુસ્વાર છે અને બ ઉપર પણ અનુસ્વાર છે એટલે એને સંબંધ એમ બોલાય છે! અને આજની પેઢી એને સબંધ બોલે છે જ્યારે સબંધ નો મતલબ તો બંધન સાથે થાય છે. અને સંબંધ નો મતલબ બન્ને માટે કોઈ બંધન વિના એમ થાય છે. કેમ કે જે બંધાય એતો ગંધાય જે વહી જાય એજ સુગંધાય!!

 


હવે વાત રહી કે સંગાથ કોનો? કેમ કે આજના જમાનામાં સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે સંગાથ કોનો કરવો, કોની સાથે તમારે તમારું હૃદય ખોલવું? આજના જમાનામાં લોકો વાતોને સમજવા થોડી ખાલી જાણવા માટે આવે છે અને જાણ્યા પછી તમારા ઉપર વાતો ઉડાડવા માટે આવે છે. આ કેવી વાત છે ખબર છે કે લોકો પેહલા તમારા પાસે આવીને પંખો નાખે અને છેલ્લે તમારા ગયા પછી તમારા નામે જે હવા ઉડાડે જેની હદ ના હોય. એટલે આ પરિસ્થિતિમાં હારુ કપરું થઈ જાય કે આપડી પાસે બેઠેલો માણસ એ બેઠેબલ માણસ છે કે નહિ!(Ref. ભદ્રાયુ વછરાજાની)

 

હૃદયના તાર કે હૃદયને ખોલવા માટે એક ના બેઠેલો પણ એક માણસ હોવો જોઈએ, અજવાળીયો રૂમ પણ એક અંધારાના અભાવને આભારી છે. એમ હૃદય ખોલવા માટે સામેવાળો માણસ ૫૬ની છાતી કે વજ્રના બાણ ઝીલી શકે એવો સક્ષમ હોય તો જ ખોલવા બાકી નહીં. કેમ કે એવું હું કાયમથી કે'તો આયો છું કે તમારી જિંદગીના પાનાં એમની સામે જ ખોલવા જેમને અક્ષરજ્ઞાન હોય બાકી તો તમારી જિંદગીના સોનેરી પાનાઓમાં પણ ચાના કપનો ડાઘો પાડીને જશે, અને કહેવાશે શું કે જીદંગીમાં ડાઘા છે. અને લોકો તો મે કહ્યુ એમ તમારા નામની હવા જ ઉડાડવા આયા છે.

 

અને એક અગત્યની વાત જે આ સંગાથમાં કરવી, કે આપડે દરેક સંગાથમાં થોડુક સમજદારી રાખવી એ પછી ઘરના સદસ્યોજ કેમ ન હોય. કેમ કે,

 

"જીવનની સમી સાંજે મે'તો ઝખ્મોની યાદી જોઈ હતી,

બહુ ઓછાં પાના જોઈ શક્યો પણ અંગત અંગત નામ હતાં!!"

- સૈફ પાલનપુરી

 

સૈફ સાહેબના આ શબ્દો યાદ કરીએ, તો એવું લાગે કે એમણે આ વિષયમાં કેટલુ ગંભીરતાથી અવલોકન કર્યું હશે, કે એમણે એ સમયમાં આટલુ બધુ કહી દીધુ. જે આજે પણ સત્ય હકીકત છે. હવે આ અંગત અંગત નામ હતાં વાળી ઘટના દરેક સાથે થઈ જ છે ભલે તમે કીધું હોય કે ન કીધું હોય એટલે આવા અંગતથી પણ સચેત રહેવું નહિતર જીવનના છેલ્લા શ્વાસે પણ આમને યાદ કરીને દુઃખી થવાનું ના આવે.


આ એજ સૈફ સાહેબ છે જેમને એવું કહ્યું હતું કે , 

"આંખોને આસુઓનો દિલાસો ના આપી શક્યો,

હું તો વર્ષો સુધી તમારું નામ જ ના લઈ શક્યો!!"

આ સંગાથમાં દુ: ખની લાગણી છે એવું તમને લાગ્યું કે નહીં? 

 


અને જો તમને આ સંગાથ મળી ગયો છે ને તો એને નિભાવવો ને એ પણ આપણી જ જવાબદારી છે. કા'તો સંગાથની કીધેલી વાત ની અદેખાઈ કરીએ, અથવા તો ગણકારી એ જ નહિ એ તે સંગાથની કદર કરી ન કહેવાય! કોઈ પણ સંગાથ એ પછી પ્રેમ હોય, મિત્રતા હોય, પતિ પત્ની હોય કે માં બાપ હોય. કેમ કે અગત્યનું એ છે કે તમે બધી હકીકત જાણીને જ આ સંગાથ રાખ્યો તો તો પાછી તમે ના નિભાવીને ક્યાક આ સંગાથનું અપમાન નથી કરતાને!! જીવનમાં તમે વિચારેલા દરેક સંગાથના પાંચ પગથિયાં છે.

વિચારવું, જોવું, ગમવું, ચાહવું અને સૌથી છેલ્લું પણ સૌથી અગત્યનું નિભાવવું!

 

બને તો સંગાથ એવી વ્યક્તિનો કરજો કે તમારી ઉત્તરોઉત્તર પ્રગતિ કરવામાં સહભાગી થાય, જે તમારી અને તમારી ઠેશ ની માવજત કરે (ઠેશ તો નાજ લાગવા દે પણ જો લાગે તો).

 

જીવનમાં દરેક ને આવો એકાદ તો સંગાથ મળવો જ જોઈએ, અને જો હોય તો તો તમે નસીબદાર! અને જો ના મળ્યો હોય ને તો તમને તમારો પડછાયો જલ્દીથી મળી જાય એવી શુભેચ્છા અને એજ પ્રભુને પ્રાર્થના!!

તમને એવું ના થાય કે આ ભાઈ ગુજરાતીમાં મજબૂરીમાં લખે છે, કે એમને આગળ કઈ આવડતું નથી એટ્લે કહી દઉં કે, 

"Things are never quite as scary when you've your best and dearest with you!!"


- દીપ જાની


Comments

Popular posts from this blog

મારા મતે ભાઈબંધી અને તેની મારી અંગત વાત!!

Burned to Gold: A Story Nobody Dared to Tell

જિંદગીના કેટલાક કડવા સવાલો....